‘પાટણની પ્રભુતા’ મુનશીની ઐતિહાસિક નવલકથામાંની પ્રથમ નવલકથા છે. ‘ગુજરાતી‘ સાપ્તાહિકમાં આ કથા ધારાવાહિક રીતે છપાતી હતી. ઈ.સ. ૧૯૧૬માં એ પુસ્તકકારે પ્રગટ થઇ. એમાં ગુજરાતના સોલંકીયુગના રાજકીય, ધાર્મિક, સત્તાસંઘર્ષની સાથે મીનળ-મુંજાલ, હંસા-દેવપ્રસાદ તથા ત્રિભુવન-પ્રસન્ન વગેરેના પ્રેમ-સંબંધોની કથા નિરુપાઇ છે. યશવંત દોશીના મતે- “મુનશીની નવલકથાઓની પીઠિકામાં ઇતિહાસ રહેલો હોય છે, પણ એમની નવલકથાઓના ઘણા પાત્રો અને પ્રસંગો કાલ્પનિક હોય છે. તે એક સુવિદિત બીના છે.”
‘પાટણની પ્રભુતા’ એમની પહેલી ઐતિહાસિક નવલકથા. આ નવલકથાએ મુનશીને નવલકથાકાર તરીકે ગુજરાતી સાહિત્યમાં માનભર્યું સ્થાન અપાવ્યું છે. જોકે ‘પાટણની પ્રભુતા’ નવલકથા આરંભની હોઇ તેનું વસ્તુગૂંફન ‘ગુજરાતનો નાથ’ નવલકથાના મુકાબલે શિથિલ લાગે, પણ તોય વાચકને રસપ્રવાહમાં સતત રમમાણ રાખતી પ્રસંગપરંપરા અને કલાથી ભરપૂર સંયોજન ગુજરાતી ઐતિહાસિક નવલકથામાં તો ‘પાટણની પ્રભુતા’ નવલકથામાં પહેલ વહેલી વાર જોવા મળે છે